
ભરૂચ
ભરૂચ જિલ્લાનાં વાગરા તાલુકામાં કલાદરા ગામમાં સર્વે નંબર 74 માં ગ્રામપંચાયત દ્વારા આ જમીનમાં માટીના ખોદકામ માટે ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. જે ઠરાવ પરત ખેંચવા આ વિસ્તારનાં માલધારી સમાજે ભરૂચ જિલ્લા સમાહર્તા સમક્ષ રજૂઆત કરી છે. લેખિત પત્રમાં જણાવ્યા અનુસાર વાગરાનાં કલાદરા ગામમાં મોટા ભાગના પશુપાલકો વસવાટ કરે છે. અહીં અંદાજિત 2000 જેટલા ઘેટાં, બકરા, ગાયો, ભેંસો વસવાટ કરે છે.
કલાદરા ગામનો માલધારી આહીર સમાજ મોટાભાગે પશુપાલનનાં વ્યવસાય પર નભે છે. આથી સર્વે નં.74 માં કરવામાં આવેલો માટી ખોદકામનાં ઠરાવથી આ ગામનાં પશુઓને ચરવાનો તેમજ ગામનાં લોકોને અવર-જવરનો રસ્તો કાયમી ધોરણે બંધ થઈ જશે તેમજ આ ગામમાં આ અગાઉ પણ ભૂમાફિયા દ્વારા રેતી-માટી માટે તળાવમાં ખોદકામ કરતાં ગામ લોકોને નુકસાની વેઠવાનો વારો આવ્યો હોવાનો પણ આક્ષેપ કર્યો છે.
આથી આવા સંજોગોમાં હાલમાં ગામ લોકોને જાણ કર્યા વિના અહીં આ સર્વે નંબરમાં જે ખોદકામની મંજૂરી આપવામાં આવી છે. તે રદ કરવામાં આવે ઉપરાંત અહીં પશુપાલકોનાં પશુનાં ચારણની જગ્યાનો નાશ થવાની દહેશત છે. તેમજ અહીંનાં ખોદકામ કરેલ તળાવમાં ગામની ભેંસો ડૂબી જવાથી મૃત્યુ થયેલ છે તથા જો આ જમીનનું ખોદકામ કરવાની મંજૂરી આપવામાં આવશે. તો ગામ લોકોના ઢોર ચરવા માટેની કોઈ જગ્યા રહેશે નહીં. આથી આજે કલેકટર કચેરીએ સર્વે નંબર 74 વાળી જમીનનો ઠરાવના મંજૂર કરવા કલાદરાનાં આહીર સમાજે જિલ્લા સમાહર્તા સમક્ષ આ ઠરાવને મંજૂરી ન આપવાની રજૂઆત કરી છે.
રિપોર્ટર : યાકુબ પટેલ
સુરત હેડલાઈન્સ ન્યૂઝ, ભરૂચ.