
સુરત
કેન્દ્ર સરકારના આયુષ મંત્રાલયના નેશનલ આયુષ મિશન અનુદાનિત ‘આયુષ ગ્રામ પ્રકલ્પ પ્રોજેકટ’ અંતર્ગત પલસાણા તાલુકાના જોળવા ગામે ‘વૈદિક રસોઈ દ્વારા આરોગ્યની જાળવણી’ વિષય ઉપર વૈદ રક્ષાબેન ભટ્ટનું વક્તવ્ય યોજાયું હતું. વૈદિક રસોઈની વિવિધ વાનગીઓ દ્વારા પ્રકૃતિ અનુસાર ખોરાક, રોજબરોજની રસોઈમાં તેની ઉપયોગિતા અંગે રક્ષાબેને ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું.
રક્ષાબેને જણાવ્યું કે, વૈદિક આહાર પદ્ધતિમાં વપરાતા દ્રવ્યોનું પોષણ ઓછું ન થાય તે માટે આયુર્વેદના નિયમોના પાલન સાથે બીજા એવા દ્રવ્યોનું મિશ્રણ કરવામાં આવે છે, જેથી વાનગીઓ સ્વાદ તેમજ પૌષ્ટિકતાથી ભરપુર હોય અને દરેક વયની વ્યક્તિને માફક આવે છે. સરગવાના પાન, કોળાના પાન, જવારાના રસનો પાવડર તેમજ અન્ય ઔષધિઓનો ઉપયોગ કરીને પૌષ્ટિક વાનગીઓ બનાવવામાં આવે છે. જે સંદર્ભે પ્રેઝન્ટેશન પણ રજુ કરાયું હતું.
આયુષ અને સુરત જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી વૈદ્ય મિલનભાઈ દશોંદી તેમજ જોળવાના આયુષ મેડિકલ ઓફિસર વૈદ્ય કાજલ મઢીકરના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં ગામની બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમમાં સામાજિક અંતર જાળવી સરકારની કોવિડ-૧૯ની ગાઈડલાઈન્સનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું હતું.